સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

પ્રેમળ જ્યોતિ

પ્રેમળ જ્યોતિ

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ
પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય
પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર
પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ
પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર
પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો,
સર્વે વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર
પ્રેમળ જ્યોતિ

રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર
પ્રેમળ જ્યોતિ

- નરસિંહરાવ દિવેટિયા

 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.